સૌથી પહેલાં તો એ જાણી લો કે અહીં તમે કોઈ વજન ઘટાડવાની યોજના (Weight Loss Plan) કે કોઈ ચીલાચાલુ નૂસખો અપનાવી રહ્યા નથી પણ એક ચોક્ક્સ પ્રણાલીને (System) અપનાવી રહ્યા છો. હવે આપ જે નવી વેઇટલોસ સિસ્ટમને અપનાવવા જઇ રહ્યા છો તે સિસ્ટમ વજન ઘટાડવા માટે અત્યાર સુધીની તમામ હદને વળોટીને સાવ અનોખી જ રીતે તમારું વજન ઘટાડવામાં સહાયરૂપ થાય છે. આ પદ્ધતિ સાવ સહેલામાં સહેલી પદ્ધતિ છે એમ કહેવું જરાય ખોટું નથી. પણ, એવું રખે માનતા કે આ પદ્ધતિ સહેલી છે એટલે એ સકસેસફૂલ નહી જ હોય. મનુષ્યની ખાસિયત એ છે કે એ હંમેશા એવુંજ વિચારે છે કે જે સહેલું હોય છે તે કદી સકસેસફૂલ હોતું નથી. આ પદ્ધતિ દ્વારા તમે ખરેખર પાતળા થશો જ... કારણ કે, આ પદ્ધતિ ખરેખર તેનું કાર્ય કરે છે.
મને આનંદ છે કે આપ આપના વજન બાબતે જાગૃત થયા છો અથવા (હસતા હસતા કહું તો) આપને પરાણે જાગૃત કરવામાં આવ્યા છે. જો આપને ખરેખર પરાણે પરાણે જાગૃત કરવામાં આવ્યા હોય તો પણ આ નવા સકસેસફૂલ વેઇટલોસ કન્સેપ્ટથી તમને કોઇ તકલીફ નહીં થાય અને આનંદ કરતા કરતા તમે તમારું વજન ઘટાડી શકશો તેની હું પૂરેપૂરી ખાત્રી આપું છું.
તમે અત્યાર સુધીમાં વજન ઘટાડવા માટેના અનેક પ્રકારના કિમીયાઓ અજમાવી જોયા હશે અને એ તમામ કિમીયાઓને નિષ્ફળ થતાં પણ જોયા હશે, પણ હવે "નો પ્રોબ્લેમ". વજન ઉતારવા માટે અત્યાર સુધી જેટલી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે તે મુખ્યત્વે તમારા આહારમાં ફેરફાર કરવા પર જ આધારિત હોય છે અથવા તો તન-તોડ કસરતો પર આધારિત હોય છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. લેટેસ્ટ રિસર્ચ દ્વારા માલૂમ પડ્યું છે કે વજન ઘટાડવા માટે લગભગ તમામ પ્રકારના ડાયેટ પ્લાન કે ડાયેટીંગ સિસ્ટમ અને ડાયેટરી ફૂડ સપ્લીમેન્ટસ લગભગ નિષ્ફળ સાબિત થયા છે. ટ્રેડિશનલ વેઇટલોસ સિસ્ટમ્સ અને ડાયેટ પ્લાન દ્વારા અમૂક કિસ્સાઓમાં વજન ઘટ્યું પણ છે પરંતુ એવું કહી શકાય કે ટ્રેડિશનલ વેઇટલોસ સિસ્ટમ્સ અને ડાયેટ પ્લાન દ્વારા માત્ર 10% લોકોનું વજન ઘટે છે. પરંતુ, ક્યારેક કયારેક તો ખૂદ ડાયેટીંગ જ વજન વધવાનું કારણ બની જાય છે... અને જેને સોલ્યુશન તરીકે ગણવામાં આવે છે એ સોલ્યુશન જ પ્રોબ્લેમ પેદા કરવા માટે જવાબદાર પરિબળ બની જાય છે.
જ્યારે તમે તનતોડ કસરતો કે ડાયેટ-ચાર્ટ કે ડાયેટીંગ કે ડાયેટરી ફૂડ સપ્લીમેન્ટ્સ દ્વારા વજન ઘટાડવા માટે પ્રયત્ન કરો છો ત્યારે કદાચ આંશિક સફળતા તો મળી જાય છે પણ છે પરંતુ એ સફળતા કદાચ કાયમી હોતી નથી. ત્યારબાદ જયારે તમે તમારા આ ડાયેટીંગ કે કસરતોમાં કંઈક ફેરફાર કરો છો અથવા એ બંધ કરો છો ત્યારે તમારું વજન ફરીથી વધી પણ શકે છે અને અમૂક કિસ્સાઓમાં તો જેટલું વજન ઘટ્યું હોય તેના કરતા પણ વજન વધી જતું હોય છે. અથવા ક્યારેક એવું પણ બને છે કે આ તનતોડ કસરતો કે વધારે પડતું ડાયેટીંગ આપના શરીરને નૂકશાનકર્તા બને છે અને કદાચ કોઈ રોગ પણ લાગુ પડી શકે છે અને ત્યારે બકરું કાઢતા ઊંટ પેસી ગયું હોય તેવી હાલત થાય છે.
જગતના વેઇટલોસ એક્સપર્ટસ દ્વારા કરવામાં આવેલા નવા રિસર્ચ પ્રમાણે એવું જાણવા મળે છે કે વજન વધવા માટે આગળ દર્શાવ્યા પ્રમાણેની મુખ્યત્વે ત્રણ ચોક્ક્સ પેટર્ન (ઢબ) જવાબદાર હોય છે.
૧. ઓબ્સેસીવ ડાયેટીંગ એટલે કે વજન ન વધે તે માટે ભૂખ્યા રહેવાનું વળગણ.
૨. ઈમોશનલ ઈટીંગ એટલે કે તમારી ચિંતાઓ, સ્ટ્રેસથી કે અન્ય નેગેટીવ ઈમોશનથી કામચલાઉ રાહત મળે તે માટે કંઈક ને કંઈક આરોગે રાખવાની ટેવ પડી જવી.
૩. ફોલ્ટી પ્રોગ્રામીંગ અથવા સાયકોલોજીકલ રિવર્સલ એટલે કે ખામીયુક્ત માનસિક બંધારણ. તમારા અજાગૃત મનમાં અજાણપણે ઘર કરી ગયેલી નકારાત્મક સુચનાઓ વજન વધવામાટે મુખ્ય જવાબદાર પરિબળ બને છે. અને તેના કારણે લાખ પ્રયત્નો કરવા છતાં પણ વજન ઉતરતું નથી.
ઉપરોક્ત ત્રણે પરિબળો પર EFT® ખૂબજ સુંદર પરિણામ આપી શકે છે. EFT®ના ઉપયોગ દ્વારા, આપણને ભૂખ ન હોય ત્યારે આહાર લેવાની જે તીવ્ર ઝંખના (immediate cravings) હોય છે તેને માત્ર એક કે બે મિનિટમાં જ ઓછી કરી શકાય છે અથવા તો સાવ નેસ્તનાબૂદ કરી શકાય છે, આથી તમને જ્યારે ખરેખર ભૂખ નથી હોતી ત્યારે કંઈક ખાવાની જરૂરત રહેતી નથી. આ ઉપરાંત, EFT®વડે ભાવનાત્મક ખાઉધરાપણાને (Emotional Eating) પણ નિયંત્રણમાં રાખી શકાય છે. જો તમે તમારા જીવનની નકારાત્મક ઘટનાઓની ભાવનાત્મક યાદને અથવા તમારી ચિંતાઓને કે તનાવને કે અન્ય નકારાત્મક ભાવનાઓને શાંત પાડવા માટે આહારનો ટ્રાન્ક્વીલાઇઝર તરીકે ઉપયોગ કરતા હશો, એટલે કે આહારનો એક વ્યસન તરીકે ઉપયોગ કરતા હશો તો EFT® પ્રક્રિયા તમારી સાચી મિત્ર બની રહેશે. EFT®વડે તમે ભાવનાત્મક શાંતિ પ્રાપ્ત કરી શકશો આથી તમે તમારા આહાર લેવાની ટેવ બાબતે વધારે સભાન રહેશો અને તમારા આહાર સાથે એક નવો જ રિશ્તો કાયમ કરશો. અત્યાર સુધીના તમામ વેઇટલોસ પ્રોગ્રામ્સમાં જે ખૂટતી કડી હતી તે તમારી ભાવનાઓ (emotions) જ હતી જેને EFT®વડે ખૂબજ ઝડપથી અને અસરકારક રીતે રી-પ્રોગ્રામ કરી શકાય છે.
જો તમારે ખરેખર વજન ઓછું કરવું હોય તો વજન વધવાની સમસ્યાના મૂળમાં રહેલા અસલ કારણો પર કાર્ય કરવું ખાસ જરુરી બની જાય છે. કંઈક ખા-ખા કરવાની ટેવને અહીં આહારના વ્યસન તરીકે જ સ્વીકારવામાં આવે છે અને આ આહારનું વ્યસન પેદા થવાનું મૂળ કારણ છે તમારી ચિંતાઓ (Anxieties). અમેરિકાની વાત કરીએ તો અન્ય પદાર્થોના વ્યસનની સરખામણીએ આહાર લેવાનું (ખાદ્ય પદાર્થોનું) વ્યસન અમેરિકામાં પહેલા નંબર પર છે. અને વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જાડીયાપણાનું નં-૧ કારણ ઇમોશનલ ઇટીંગ જ છે. દારૂ, તમાકુ, સિગારેટ કે અન્ય વ્યસનોની જેમ ખાઉધરાપણું પણ એક જાતનું વ્યસન જ છે જેના દ્વારા તમારી ચિંતાઓ કે નકારાત્મક ભાવનાઓ પર કામચલાઉપણે પડદો પડી જાય છે અને તમને કામચલાઉ રાહત પ્રાપ્ત થાય છે.
તમારી જાતને સવાલ પૂછો કે તમે ખરેખર ભૂખ્યા નથી હોતા ત્યારે તમારા રેફ્રીજરેટર પર કેટલી વખત ધાડ પાડો છો? હવે જુઓ કે તમે આવી વર્તણુંક શા માટે કરો છો!!! તમારી ચિંતાની લાગણીઓ પર ઢાંક-પિછોડો કરવા માટે તો આવી વર્તણુંક નથી કરતાને!!! તમે કદાચ ચિંતાનું નામ ચોક્ક્સપણે નહિ આપો પણ કંટાળો કે "નર્વસ ઇટીંગ" કે "ઇમોશનલ ઇટીંગ" એવું કંઇક નામ આપશો... પણ ખરેખર તો એ પણ એક પ્રકારની ચિંતા જ છે.
ચિંતા (Anxiety) જ એક એવી સમસ્યા છે કે જે આપણને આહારના કે અન્ય કોઈ વ્યસનો તરફ દોરી જાય છે. એવી ચિંતાઓ પેદા થવાના અનેક કારણો છે. કૌટુંબીક તેમજ વ્યાવસાયિક સમસ્યાઓ માનસિક તનાવ પેદા કરે છે અથવા બાળપણમાં થયેલ નકારાત્મક અનુભવ કે કોઇ અન્ય પીડાદાયક યાદ પણ ચિંતા પેદા કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. વજન ઓછું કરવા માટે ખાઉધરાપણું પેદા કરતી ચિંતાઓને અને માન્યતાઓને હટાવવી પડે છે. અને આ બધી ચિંતાઓને અને માન્યતાઓને હટાવવા માટે EFT® એ સૌથી વધારે કાર્યક્ષમ ઓજાર છે.